ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ

ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ

પ્રાચીન ભારત વિશે આજે પણ ઇતિહાસમાં સંશોધનની આવશ્યકતા છે. કારણકે જે ઇતિહાસ આજે આપણે જાણીએ છીએ એની પાછળ ખૂબ જ મોટું આયોજન ઊભું થયેલું છે. એક જ ઉદાહરણ જોઈએ તો આજે આપણે જાણીએ છીએ કે ૧૫ મી ઓગસ્ટ , ૧૯૪૭ નાં દિવસે આપણો દેશ આઝાદ થયો ! પણ જે દસ્તાવેજ પર ભારતનાં પ્રથમ પ્રધાનમંત્રી અને બ્રિટન વચ્ચે લેખિતમાં આપ લે થઈ તેમાં Transfer of Power ( સત્તાનું હસ્તાંતરણ ) લખેલું છે ! સમય સમય પર આ વિશે લેખ પ્રગટ થતાં રહેશે પણ આજે આપણે જાણવાના છીએ ભારતનાં પ્રાગ ઐતિહાસીક કાળ વિશે ! તો ચાલો જાણીએ !

આમ જોઈએ તો ઈતિહાસ એટલે ઈતિ + હ + અસ એટલે કે આમ જ થયું હતું ! એમાં કોઈ શંકા ને સ્થાન નાં હોઈ શકે પણ આજે ઇતિહાસની હાલત આપણાં દેશમાં એવી થઈ ગઈ છે કે રામ નોહતા એની પણ એફિડેવિટ થઈ જાય છે ! ( ફરી વાર ઉલ્લેખ વાંચ્યો હોય તો યાદ અપાવવા માટે જ છે ! ) ચાલો જાવા દઈએ એ મુદ્દાને ! વાસ્તવમાં ઇતિહાસ માનવ જ્યારથી આ ધરતી પર છે ત્યારથી ઇતિહાસ છે એમ કહીએ તો ખોટું નહિ ! ઇતિહાસ માનવ વિકાસનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે ! જે અનાદી કાળથી ભારત દેશમાં વિદ્યમાન છે ! આધુનિક સંદર્ભમાં વાત કરીએ તો ઈતિહાસ માત્ર રાજનીતિક ઘટનાઓનાં વર્ણન કરતું શાસ્ત્ર નથી પણ જનસામાન્યમાં આવેલા સામાજિક, સાંસ્કૃતિક, બૌદ્ધિક અને આર્થિક પરિવર્તનોનો અભ્યાસ કરે છે. જોકે જેટલી આંખો એટલી દ્રષ્ટિ હોય છે તો આ વિષયમાં પણ વિદ્વાનો પોતાના મત રજૂ કરતા રહે છે ! જોકે આખરે તો સત્ય એ જ ઇતિહાસ ! અત્યારે તો એવી વાત છે કે જ્યારે વિશ્વમાં જ્યારે માનવ સમુદાયની શરૂઆત થઈ હશે ! પણ વાસ્તવિકતા એ છે કે ભારતમાં પૃથ્વી નહિ પૂરા બ્રહ્માંડ વિશેની મૂળભૂત જ્ઞાન સરીતા હજારો વર્ષથી વહી રહી છે ! પૌરાણિક માન્યતા મુજબ ભારતવર્ષમાં ભગવાન મનુ દ્વારા સૃષ્ટિની શરૂઆત થઈ છે. જોકે પૌરાણિક શબ્દ થોડો નહિ બહુ ખૂંચવો જોઈએ કેમકે એનું પૂરું વૃતાંત ભારતીય સંસ્કૃત વાગમયમાં અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ કાળક્રમે અગ્નિ, ચક્ર તથા શરીરને ઢાંકવા માટે વનસ્પતિના પર્ણથી વસ્ત્રો બનાવવાની શોધ થઈ. ઈતિહાસમાં નવા નવા પરિવર્તનો અને તેમાંથી એક પેઢી બીજી પેઢીને કંઈક નવુ આપતી ગઈ. જેને આજે આપણે ઠાવકી ભાષામાં સંસ્કૃતિ કહીએ છીએ. આમ સંસ્કૃતિ કે વારસો એ ઈતિહાસની નીપજ છે ! પણ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પ્રકૃતિ આધારિત શ્રેષ્ઠ જીવન શૈલી છે જેનો ઉદ્દેશ્ય માત્ર માનવ કલ્યાણ છે !

આજના કહેવાતા ઈતિહાસકારો પ્રાચીન ભારતીય ઈતિહાસને ત્રણ ભાગોમાં વહેંચે છે.

૦૧ પ્રાગ ઐતિહાસિક કાળ – જે કાળમાં કોઈ લેખિત પુરાવા ન મળતા હોય અને મનુષ્ય જીવન સભ્ય ના હોય તેવો કાળ ‘પ્રાગ ઐતિહાસિક કાળ’ તરીકે ઓળખવામાં આવે છે.

૦૨ ઐતિહાસિક કાળ – જે કાળમાં લેખિત સાધનો ઉપલબ્ધ હતા તેમજ માનવો સભ્ય બની ગયા હતા. તે કાળને ઈતિહાસકારો ઐતિહાસિક કાળ’ તરીકે ઓળખાવે છે.

૦૩ આદ્ય ઐતિહાસિક કાળ – પ્રાચીન ભારતના ઈતિહાસમાં એક સમય એવો પણ હતો કે ત્યારે લેખન કલા ઉપલબ્ધ તો હતી પણ તે લેખન હજુ સુધી ઉકેલી શકાયુ નથી. આ કાળને ભારતીય ઈતિહાસકારો ‘આધ ઐતિહાસિક કાળ’ કહે છે. હડપ્પા સંસ્કૃતિ અને વૈદિક કાળની સંસ્કૃતિની ગણના આદ્ય ઈતિહાસમાં થાય છે. આ આધારે હડપ્પા સંસ્કૃતિની પહેલાના ભારતના ઈતિહાસના પ્રાચ ઐતિહાસિક અને લગભગ ઈ.સ.પૂર્વે 600 પછીનો સમયગાળો ઈતિહાસ તરીકે ઓળખાય છે.

( એક વાત ખાસ યાદ રાખો કે અહી આ લેખમાં આપવામાં આવેલા બધા સમયના આંકડા સંશોધનને અવકાશ છે એમ જ માનવા ! કેમકે આ આંકડા સાચા નથી ! સમયાંતરે છેક ઇજિપ્તમાં ૮૦૦૦ વર્ષ જૂનાં મંદિર , યજ્ઞ વેદી અને ભારતીય સભ્યતાના પુરાવા ધરતી ફાડી બહાર નીકળી આવે છે ત્યારે આ બધા આંકડા ખોટા સાબિત થાય છે. )

હવે વાત કરીએ સંસ્કૃતિની તો આજના સમયમાં સંસ્કૃતિ એટલે ‘ગુફા’ થી ‘ઘર’ સુધીની માનવજાતની વિકાસ યાત્રા. ‘જીવન જીવવાની રીત’ અથવા માનવીને પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ ! જોકે આ વારસો માનવીએ બનાવેલો છે . થોડી વધુ ચોખવટ કરીએ તો માનવીએ પોતાની બુદ્ધિશકિત, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જયુ છે તેને આપણે ‘સાંસ્કૃતિક વારસો’ કહી શકીએ !

હવે આ સર્જનના કેટલાક આંકડા જોઈ લઈએ ! કહેવાય છે કે લગભગ 30 લાખ વર્ષ પહેલા માનવે પોતાનું સાંસ્કૃતિક જીવન શરૂ કર્યુ. જો કે સૌથી પ્રાચીન અભિલેખ લગભગ ઈ.સ. પૂર્વે 3000ની આસપાસનો મળે છે. પણ તેનાથી પણ અનેક સહસ્ત્ર વર્ષ પ્રાચીન ભારતીય સંસ્કૃત વાગમય ને ધ્યાનમાં લેવામાં આવતું નથી ! અને મળી આવેલા અભિલેખના આધારે આજના ઇતિહાસકારો કહે છે કે પ્રારંભિક અવસ્થાથી ઈ.સ. પૂર્વે 3000 વર્ષ સુધીના કાળખંડને પ્રાગ ઈતિહાસ કહી શકીએ !  સમયાંતરે આદ્ય ઈતિહાસ કાળમાં લેખિત સામગ્રી તો મળી છે પણ તેને ઉકેલી શકાઈ નથી. જો કે પૂર્વનું વિશ્વ જ્યારે આદ્ય ઐતિહાસિક કાળમાં જીવતું હતું ત્યારે આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ અને અમેરિકા ખંડ પ્રાગ ઐતિહાસિક જીવન જીવી રહ્યા હતા. આની સામે ભારતની વાત કરીએ તો આ સમયે પણ ભારતમાં ઉન્નત માનવ જીવન હતું !

પ્રાગ ઐતિહાસિક કાળ

સામાન્ય રીતે પ્રાગ ઐતિહાસિકકાળને પાષાણકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય ઈતિહાસમાં ઐતિહાસિકકાળ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજીત કરાયેલ છે.
1. પ્રાચીન પાષાણકાળ
2.મધ્ય પાષાણકાળ
3.નૂતન પાષાણકાળ

1.પ્રાચીન પાષાણકાળ (અજ્ઞાતકાળ થી ઈ.સ.પૂર્વ 9,000)

ભારતમાં આ કાળની સભ્યતાની શોધ સૌ પ્રથમ 1863 માં જીયોલોજીકલ સર્વેના અધિકારી ‘રોબર્ટ બ્રુસ ફૂટ’ દ્વારા થઈ હતી. ત્યારથી આજ સુધી એકેય ભારતીયને આ બાજુ સંશોધન કરવાની નવરાશ મળી નથી ! જે આ ભુરો ગોતીને ગયો એ આજે પણ એમનું એમ ભારતની શાળાઓમાં શીખવવામાં આવે છે ! જેવા આપણાં નસીબ ! તો આ ભાઈએ  જે સંશોધન કર્યું એમાં સૌ પ્રથમ પ્રાચીન પાષાણકાળના પુરાવા તરીકે મદ્રાસ નજીક પલ્લવરમાંથી પાષાણ નિર્મિત ઓજારોની શોધ કરી હતી. આ કાળમાં માનવી ઓજારો બનાવવા માટે કવાર્ટઝ પથ્થરોનો ઉપયોગ કરતો હતો. આ કાળ દરમિયાન માનવી ગુફામાં રહેતો હતો. ભીમબેટકા (મધયપ્રદેશ)ની ગુફા પાષાણકાળના સમયની છે. આ સભ્યતાનો ઉદભવ તથા વિકાસ દ્વિતીય હિમવર્તનકાળમાં થયો. આ કાળનો સમય આજથી લગભગ 5 લાખ વર્ષ પહેલાનો માનવામાં આવે છે. સ્ટુઅર્ટ પિગટ અનુસાર ભારતના પાષાણકાળની જેમ જ વિશ્વના મધ્ય યુરોપમાં પણ હિમયુગના ગ્લેશ્યિલ તેમજ ઈન્ટર ગ્લેશિયલ એમ બે યુગ પસાર થઈ ચૂકયા છે.

આ યુગમાં મનુષ્ય શિકારી અને ખાદ્ય – સંગ્રાહક હતો. આ યુગમાં માનવ દ્વારા ઉપયોગમાં લેવાયેલ પથ્થરોના ઓજારના અવશેષ તથા જળવાયુમાં થનાર પરિવર્તનને આધારે ત્રણ અવસ્થામાં વહેંચવામાં આવે છે.

1. નિમ્ન પુરાતન પાષાણકાળ
2. મધ્ય પુરાતન પાષાણકાળ
3.ઉચ્ચ પુરાતન પાષાણકાળ

1. નિમ્ન પુરાતન પાષાણકાળ  (ઈ.પૂ. 20 લાખ થી ઈ.પૂ. 80,000)

  • સોહન નદી ઘાટી (તત્કાલીન પાકિસ્તાનના પંજાબ પ્રાંત), સિંગરૌલી ઘાટી (ઉત્તર પ્રદેશ), છોટા નાગપુર, નર્મદા ઘાટી, સિંધ પ્રદેશ અને કેરળને બાદ કરતાં સમગ્ર ભારતમાંથી આ કાલના અવશેષો મળી આવેલ છે.
  • આ સમયનાં ચિત્રોમાં પશુપંખીના આલેખનો જોવા મળે છે.
  • નર્મદા ઘાટીમાં ‘હથનોર’ ગામમાં મનુષ્યનું મસ્તક મળી આવેલ છે જે આશરે 1.5 લાખ વર્ષ જૂનું છે. આ અવશેષ અત્યાર સુધીમાં ભારતમાંથી મળી આવેલું મનુષ્યનું સૌથી જૂનું અવશેષ છે.
  • આ સમયમાં મનુષ્ય પશુઓનો શિકાર કરતો હતો તેમજ રહેઠાણ તરીકે ગુાઓનો ઉપયોગ કરતો હતો.


મુખ્ય વિસ્તારો

  • સોહન ઘાટીમાંથી મળેલા અવશેષોમાં પાણીના વહેણ દ્વારા સપાટ અને ચીકણા થયેલ પથ્થરના ઉપકરણ ‘પેબુલ’ તથા ગોળાકાર અને મોટા ઉપકરણ ‘ચાપર’ મળી આવેલ છે.
  • લિડ્ડર નદીના કિનારે પહલગામમાંથી હાથથી બનાવેલ સાધનો પ્રાપ્ત થયા હતા.
  • અડિયાલ, બલવાલ અને ચૌન્ટરા જેવી પુરાપાષાણ વસાહતોનો સોહન ઘાટીમાં સમાવેશ થાય છે.
  • 1956માં બી. બી. લાલે બિયાસ નદી કિનારે સંશોધન કર્યુ હતું. બિયાસ, બાણગંગા તેમજ સિરસા નદીના કિનારે અવશેષો પ્રાપ્ત થયેલ છે.
  • રાજસ્થાનમાં લૂણી નદી પાસેના વિસ્તારમાં કેટલીક પાષાણકાળની વસતીઓના બિહારની રાસ નદી પાસેથી પણ આવા ઓજારો પ્રાપ્ત થયા.
  • મહારાષ્ટ્રમાં કોરેગાવ, ચંડૌલી અને શિકારપુરમાં પણ અન્ય પ્રમુખ પુરાપાષાણકાલીન વસાહતો મળી આવેલ છે.

2. મધ્ય પુરાતન પાષાણકાળ (ઈ.સ.પૂર્વે 80,000 થી ઈ.સ.પૂર્વે 35,000)

  • સિંધ (પાકિસ્તાન), કેરળ અને નેપાળને બાદ કરતાં ભારતના બધા જ રાજ્યોમાંથી આ સમયના પ્રાપ્ત થયેલ છે.
  • મધ્ય પુરાતન પાષાણકાળમાં ફલકોની માત્રા વધુ હોવાના કારણે તેને ‘ફલક સંસ્કૃતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ ફલક શબ્આદ બાઉન્સર ગયો હોય તો જાની લો કે ફલક એટલે એક મોટા પથ્થર પર બીજા પથ્થરથી ઘા કરી જે નાના પથ્થરના ભાગ અલગ કરવામાં આવે છે તેને ફલક કહે છે.
  • આ સમયના અવશેષો કવાર્ટઝાઈટ પથ્થરોમાંથી બનાવેલા જોવા મળે છે.
  • આ કાળમાં મુખ્ય ઓજાર તરીકે વેધક, વેધની અને ખુરચની મળી આવેલ છે તેમજ ભીમબેટકા (મધ્ય પ્રદેશ)ના 20000 વર્ષથી વધુ સમયની પથ્થરની ગુફાઓ દ્વારા આ કાળના લોકોની રહેઠાણની સાબિતી મળેલ છે.
  • મધ્યપુરાતન પાષાણકાળનો માનવી વલ્કલ (એક પ્રકારનું વસ્ત્ર) પહેરતો થયો હતો અને પ્રાણીઓના શિકાર કરતો થયો હતો.

મુખ્ય વિસ્તારો

  • મહારાષ્ટ્રના નેવાસા, ઝારખંડમાં સિંહભૂમ અને પલામો, ઉત્તર પ્રદેશમાં ચકિયા (વારાણસી), બેલન ઘાટી તેમજ સોણનદી ઘાટી, રાજસ્થાનના બેરોચ તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વગેરે સ્થળોથી મધ્યપુરાણ પાષાણકાળના ઓજારો મળી આવેલ છે.
  • ગુજરાતની વાત કરીએ તો અહી આ કાળના ઓજારો સૌ પ્રથમ રોબર્ટ બ્રુસ ફુટ દ્વારા ઈ.સ.1893 માં વિજાપુર તાલુકાના સાબરમતી કોતરમાંથી મળ્યા છે.
  • ગુજરાતમાં લાંઘણજમાં ઈ.સ.1941 માં હસમુખ સાંકળીયા તથા બી.સુબ્બારાવ નામના પુરાતત્વવિદોના પ્રયત્નોથી મધ્યપાષાણકાળના પશુઓ તથા મનુષ્યના કંકાલ તેમજ માટીના વાસણો મળી આવ્યા છે.
  • ગુજરાતના હિરાપુર, ડેરોલ, કપડવંજ, લાંઘણજ અને શામળાજી તેમજ ભંડારપુર નજીકની ઓરસંગ ઘાટીમાંથી પણ પાષાણ યુગના અવશેષો મળી આવે છે.
  • ઉત્તરપ્રદેશના બાંડા જિલ્લામાંથી આ સમયના ભીંતચિત્રો પણ મળી આવેલ છે.

3. ઉચ્ચ પુરાતન પાષાણકાળ (ઈ.સ.પૂર્વે 35,000 થી 9,000)

  • ‘તક્ષણી’ તથા ‘બ્યૂરીન આં સમયના સૌથી મહત્વપૂર્ણ ઓજારો છે. આ બંને શબ્દો નાં સમજાયા હોય તો જાની લો કે તક્ષણી પાતળા તથા સાંકડા આકારવાળુ ઓજાર હોય છે જેના બંને કિનારા સમાંતર હોય છે તથા લંબાઈમાં તેની પહોળાઈ કરતા બે ગણુ હોય છે જ્યારે બ્યુરીન એટલે શલ્ક અથવા ફલકથી બનાવેલુ ઓજાર હોય છે.
  • કહેવાય છે કે આ એ સમય છે જ્યારે વાતાવરણની અંદર તાપમાનમાં વધારો થયો હતો અને પૃથ્વીનું વાતાવરણ ગરમ થવા લાગ્યુ હતું . . જેથી ઘણા ઈતિહાસકારો આ સમયને હિમયુગનો સૌથી અંતિમ તબક્કો માને છે. આ સમયે આધુનિક માનવ (હોમોસેપિયન)ની ઉપસ્થિતિ હોવાનું માનવામાં આવે છે.

મુખ્ય વિસ્તારો

આ કાળના મુખ્ય સ્થળોમાં બેલન ઘાટી તથા સોણ ઘાટી (ઉત્તર પ્રદેશ), સિંહભૂમ (ઝારખંડ), બાગોર (મધ્ય પ્રદેશ), ઈનામગામ (મહારાષ્ટ્ર), કર્નલ (આંધ્રપ્રદેશ) તથા પુષ્કર (રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

મઘ્ય પાષાણકાળ (ઈ.સ.પૂર્વે 9,000 થી ઈ.સ.પૂર્વે 4,000)

  • મધ્ય પાષાણકાળ એ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલ કાળ છે. આ સમય પ્રાચીન પાષાણકાળ અને નૂતન પાષાણકાળ વચ્ચેનો સંક્રમિત કાળ માનવામાં આવે છે.
  • ભારતમાં મધ્ય પાષાણકાળના સૌ પ્રથમ અવશેષો સી.એલ. કાર્બાઈલ દ્વારા ઈ.સ. 1867માં શોધાયા હતા.
  • આ કાળના ઓજારોમાં મુખ્યત્વે પથ્થરના નાના ઓજારો મળી આવ્યા હતા જેને માઈક્રોલિથ’ તરીકે ઓળખવામાં આવે છે.
  • વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે પ્રારંભિક ખેતીની શરૂઆત થઈ.
  • માનવીએ સ્થાયીરૂપે કોઈ એક જ જગ્યાએ વસવાટની શરૂઆત કરી , જેનો પુરાવો રાજસ્થાનના બેગોર ખાતેથી પ્રાપ્ત થયેલ છે.
  • પશુપાલનનો સૌપ્રથમ પુરાવો બેગોર (રાજસ્થાન) અને આદર્શગઢ (મધ્યપ્રદેશ) ખાતેથી પ્રાપ્ત થયેલ છે.
  • આ કાળ દરમિયાન માનવીએ આગની શોધ કરી અને શિકાર માટે ધનુષ-બાણ જેવા ઓજારોનો ઉપયોગ કરતો થયો હશે. આ કાળ દરમિયાન ચર્ટ, જામ્પર અને લીન્ટ જેવા કવાર્ટઝ પથ્થરોનો ઉપયોગ થતો હતો.

મુખ્ય વિસ્તારો

  • મધ્ય પાષાણકાળના મુખ્ય અવશેષો ગુજરાતના લાંઘણજ ( જ્યાં નાના પાષાણ ઓજારો સિવાય પશુઓના હાડકાં, કબ્રસ્તાન વગેરે મળ્યા છે.)
  • રાજસ્થાનના બગોર, મધ્યપ્રદેશના આદમગઢ, આંધ્ર પ્રદેશના નાગાર્જુન કોંડ અને તમિલનાડુના ટેરી ખાતેથી મળી આવ્યા છે.
  • રાજસ્થાનના સાંભર સરોવરમાંથી છોડના વાવેતરના અવશેષો મળી આવેલ છે.
  • ઉત્તર પ્રદેશના અલાહાબાદ પાસે (બેલણ નદી ઘાટી) આવેલ ચોપાનીમાંડોને પ્રાચીનપાષાણ અને મધ્ય પાષાણ વચ્ચેની કડી તરીકે ઓળખવામાં છે.
  • શારદા નદીની પાસે આવેલ આવે છે.
  • સરાયનહરરાય માંથી માનવીય આક્રમણના સૌથી જૂના અવશેષો મળી અવ્યા છે.
  • નર્મમદા નદી પાસે મહાદાદા ખાતેથી પણ કેટલાક અવશેષો મળી આવેલ છે.

નૂતન પાષાણકાળ (ઈ.સ.પૂર્વે 4,000 થી ઇ.સ.પૂર્વે 2,750)

  • નૂતન પાષાણકાળની સભ્યતાનો પ્રારંભ ઈ.સ. પૂર્વે 4000 થી થયો હતો.
  • ભારતમાં નૂતન પાષાણકાળના સ્થળોના સૌ પ્રથમ અવશેષો મેહરગઢ (પાકિસ્તાન)થી પ્રાપ્ત થયેલ છે.
  • માણસના જીવનમાં આવેલા મહત્વપૂર્ણ સામાજિક-આર્થિક ફેરફારોના આધારે આ સમયગાળાને નવપાષાણિક ક્રાંતિનું નામ અપાયું છે. આ કાળમાં મનુષ્ય ખાદ્ય ઉત્પાદક બન્યો હતો. તે ઉપરાંત તે પોલિશવાળા પથ્થરોના ઓજાર તથા હથિયારોનો ઉપયોગ કરતો થયો. સાથે સાથે કૃષિ, કપડાની બનાવટ, અગ્નિ વડે ખોરાક પકવતો, હોડીની બનાવટ જેવી પ્રવૃત્તિઓની શરૂઆત મનુષ્ય દ્વારા આ કાળમાં થઈ હોવાનું મનાય છે.
  • નૂતન પાષાણકાળમાં માનવી અનાજનું મોસમી ઉત્પાદન કરતો થયો તથા પાણીના વાર્ષિક સંગ્રહને કારણે નદી કિનારે વસવાટ કરતો થયો હતો.
  • આ કાળ દરમિયાન માનવ બેસાલ્ટ અને ડાઈક જેવા અગ્નિકૃત ખડકમાંથી બનેલા પથ્થરોનો ઉપયોગ કરતો હતો.
  • આ કાળ દરમિયાન સૌપ્રથમવાર હેન્ડલ ફિટ કરેલા ઓજારોનો ઉપયોગ થયો હતો. આ ઓજારોને સેલ્ટ(Celt) કહેવાય છે.
  • આ સમયે માનવી ગતિના સિદ્ધાંત વિશે માહિતગાર હતો.
  • આ સમયગાળા દરમિયાન માનવોએ પાકી ઈંટોના મકાન બનાવવાનું શરૂ કર્યુ.

મુખ્ય વિસ્તારો

  • પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલ મેહરગઢમાંથી ઘઉં અને જવની ખેતીના પ્રમાણ તેમજ માટીના વાસણ માટેનો ચાકડો અને ચિનાઈ માટીની મૂર્તિઓ તેમજ પાકી ઈંટોથી બનેલ મકાનનો સૌ પ્રથમ પુરાવો મળેલ છે.
  • આ ઉપરાંત કાશ્મીરના બુર્જહોમમાંથી નદીકિનારેની કોતરોમાં વસાહતો, અને પ્રાણીઓ સાથેની માનવોની કબરો પણ મળી આવેલ છે .
  • બારામુલ્લા જિલ્લાના કનિષ્કપુરમાં તાંબાની બનાવટના વાસણો મળી આવેલ છે.
  • ઉત્તરપ્રદેશના કોલ્ડીહવા (બેલણ નદી ઘાટી) ખાતેથી ચોખાના પાકનો સૌ પ્રથમ પુરાવો પ્રાપ્ત થયેલ છે .
  • પાકિસ્તાનના મેહરગઢમાંથી ઘઉં અને કપાસનો સૌ પ્રથમ પુરાવો પ્રાપ્ત થયેલ છે. કપાસને ‘સિંઘોન’ તરીકે ઓળખવામાં આવે છે.
  • બેલણ નદી ઘાટીમાં આવેલ ચોપાની માંડો માંથી માટીના વાસણોના ઉપયોગનો પ્રથમ પુરાવો મળેલ છે.
  • બિહારના ચિરાંદમાંથી ગોળાકાર મકાન મળી આવેલ છે. આ મકાન નિર્માણ વાંસ અને માટીથી થયેલા છે અને કર્ણાટકના મસ્કીમાંથી ચિત્રકારીના અવશેષો મળેલ છે.
  • ગુજરાતમાં મહેસાણા જિલ્લાના લાંઘણજ તથા તાપી તટપ્રદેશ અને તાજેતરમાં ડાંગ વિસ્તારમાં આદિમાનવના આ સમયના ઓજારો મળી આવ્યા છે.
  • માનવામાં આવે છે કે આ સમયનો માનવી કેટલીક હુન્નરકળા પણ જાણતો હતો. પરંતુ લેખનકળા હજુ સુધી ઉદ્ભવી ન હોતી તેથી આ સમયને ‘પ્રાગ ઐતિહાસિકકાળ’ ગણવામાં આવે છે.
  • મધ્યપ્રદેશમાં આવેલ નર્મદા નદી ઘાટી અને ઉત્તરપ્રદેશમાં આવેલ બેલણ નદી ઘાટીમાંથી પ્રાચીનપાષાણ યુગ, મધ્યપાષાણ યુગ અને નૂતન પાષાણયુગ એમ ત્રણેય યુગના અવશેષો મળી આવે છે.

હવે પ્રાચીન પાષાણ કાળ , મધ્ય પાષાણ કાળ અને નૂતન પાષાણ કાળ નાં સ્થળો એક સાથે ધ્યાનમાં રાખી લઈએ .

પ્રાચીન પાષાણ કાળનાં સ્થળ

સ્થળ રાજ્ય
અતિરમ પક્કમ, પલ્લવરમતમિલનાડુ
લોહદાનાલાઉત્તર પ્રદેશ
પહલગામકાશ્મીર
હથનોરમધ્ય પ્રદેશ
નેવાસા, ચિરકીમહારાષ્ટ્ર
ભીમબેટકામધ્ય પ્રદેશ

મધ્ય પાષાણ કાળનાં સ્થળ

સ્થળ રાજ્ય
લાંઘણજગુજરાત
અંબાખુટગુજરાત
બગોરરાજસ્થાન
સરાયનાહરરાયઉત્તર પ્રદેશ
મહાદાદાઉત્તર પ્રદેશ
આદમગઢમધ્ય પ્રદેશ
પંચમઢીમધ્ય પ્રદેશ
ટેરીતમિલનાડુ

નૂતન પાષાણ કાળનાં સ્થળ

સ્થળરાજ્ય
મેહરગઢબલૂચિસ્તાન (પાકિસ્તાન)
બુર્જહોમકાશ્મીર
ગુફ્ફકરાલ કાશ્મીર
કોલડી હવા ઉત્તર પ્રદેશ
ચોપાની માંડોઉત્તર પ્રદેશ
ચિરાંદબિહાર
પિકલીહલકર્ણાટક
સંગનકલૂકર્ણાટક


તામ્ર પાષાણકાળ (ઈ.સ.પૂર્વે 2000 થી ઈ.સ.પૂર્વે 500)

  • નવપાષાણ યુગના અંતિમ તબક્કામાં ધાતુઓનો ઉપયોગ શરૂ થઈ ચુકયો હતો જેમાં તાંબુ એ પ્રથમ ધાતુ હતી. એ સમયે લોકોએ પત્થરની સાથે-સાથે તાંબાના ઓજારોના ઉપયોગની શરૂઆત કરી તેથી તેને તામ્ર પાષાણકાળ કહેવામાં આવ્યો છે.
  • તામ્ર પાષણકાળના લોકો મુખ્યત્વે ગ્રામીણ સમૂહના હતા. તામ્રપાષાણિક સ્થળોમાં સૌથી મોટું ગ્રામીણ સ્થળ એચ.ડી. આકલિયા દ્વારા ખોદકામ કરી શોધાયેલ નવદાટોલી છે,.
  • તામ્રપાષાણ કાળની વસાહતોના વિનાશનું કારણ દુકાળને માનવામાં આવે છે.
  • ભારતમાં તામ્ર પાષાણકાળના મુખ્ય ભાગો દક્ષિણ-પૂર્વ રાજસ્થાન (અહાર અને ગિલુંદ), પશ્ચિમી મધ્યપ્રદેશ (માળવા, કાયશા અને એરણ), પશ્ચિમ મહારાષ્ટ્ર તથા દક્ષિણ-પૂર્વ ભારત છે.
  • તામ્રપાષાણ કાળના મહત્વનાં કેટલાંક સ્થાનો અલ્હાબાદ જિલ્લાના વિંધ્ય ક્ષેત્રમાં તેમજ બિહારના ચિરાંદ અને પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં પણ આવેલા છે.

અહાર સંસ્કૃતિ

  • આ સંસ્કૃતિનું પ્રાચીન નામ તાંબાવતી છે.
  • રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાંથી સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. આ સંસ્કૃતિનો બનાસ નદીના આસપાસના વિસ્તારમાં થયેલ હોવાનું મનાય છે.
  • રાજસ્થાન અને ગુજરાત આ સંસ્કૃતિથી પ્રભાવિત વિસ્તાર છે.
  • આ સંસ્કૃતિના લોકો પથ્થરના બનેલા મકાનોમાં રહેતા હતા.
  • અહીંના લોકો કુંભારના ચાકડા પર બનેલ વાસણોનો ઉપયોગ કરતા હશે. આ વાસણો મુખ્યત્વે કાળા અને લાલ રંગની સજાવટના છે.
  • મકાનનું નિર્માણ મોટા ભાગે પાકી ઈંટોમાંથી થયેલ છે અને ભટ્ટીમાંથી પકવેલ ઈંટોના અવશેષ મળેલ છે.
  • આ સંસ્કૃતિમાંથી ખેતીના અવશેષ પણ મળેલ છે.
  • ગિલુંદ (રાજસ્થાન)ને આ સંસ્કૃતિનું સ્થાનિક કેન્દ્ર માનવામાં આવે છે. ગુણંદમાંથી તાંબાના વિવિધ અવશેષો પણ મળેલ છે.

કાયથા સંસ્કૃતિ

  • આ સંસ્કૃતિનો વિકાસ મધ્યપ્રદેશના દક્ષિણ ભાગમાં થયેલ જોવા મળે છે. જેનો વિસ્તાર ચંબલ, નર્મદા, તાપી અને મહી નદીની ઘાટીઓમાં ફેલાયેલો છે.
  • અહીંથી મળેલ મકાનોના નિર્માણોમાં લાકડું, વાંસ અને પથ્થરના અવશેષો મળી આવેલ છે.
  • કૃષિ અને પશુપાલનના વધારે અવશેષો મળેલ છે. અહીંથી તાંબાની કુહાડીઓ પણ મળી આવેલ છે.
  • આ સંસ્કૃતિના માટીના વાસણો પર હડપ્પીય સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે.

માળવા સંસ્કૃતિ

  • મધ્યપ્રદેશના માળવા વિસ્તારમાં આ સંસ્કૃતિના અવશેષો મળેલ છે. જેનો મોટા ભાગનો વિસ્તાર મહારાષ્ટ્ર અને
  • મધ્યપ્રદેશમાં ફેલાયેલ હતો. અહીંથી પથ્થર અને તાંબાના બનેલ ઘણા ઓજારો મળી આવેલ છે તેમજ અહીંથી મળેલા વાસણોમાં ઉત્તમ ચિત્રકારી જોવા મળે છે.
  • મકાનોનો આકાર ચોરસ સ્વરૂપે છે અને તેનું નિર્માણ પથ્થર અને પાકી ઈંટોથી થયેલ જોવા મળે છે.
  • અહીંથી મૃત બાળકોના દફનાવેલા શબો પણ મળી આવેલ છે.
  • અહીંથી કપાસ તેમજ કાપડ નિર્માણના અવશેષો મળી આવેલ છે.
  • માળવામાંથી ઋષભની પ્રતિમા પણ મળેલ છે.

જોરવે સંસ્કૃતિ

  • આ સંસ્કૃતિનો વિસ્તાર મહારાષ્ટ્રમાં પૂર્ણ, જલગાંવ અને અહમદનગર ના વિસ્તારમાં જોવા મળે છે.
  • અહમદનગરમાં આવેલ ખૈમાબાદ, જોરવે, નેવાસા, નાસિક અને સોનગાંવ મુખ્ય કેન્દ્રો છે.
  • જોરવેમાંથી સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષ મળી આવાના કારણે તેને જોરવે સંસ્કૃતિ નામ આપવામાં આવ્યું છે.
  • અહીંથી મળેલ વાસણોને ઘસીને ચમકદાર બનાવવામાં આવેલ છે અને કેટલાક વાસણો પર પશુઓના ચિત્ર પણ મળેલ છે.
  • અહીંથી તાંબાનો ચાંકડો પણ મળી આવેલ છે.
  • નેવાસામાંથી કપાસની ખેતીના અવશેષ મળે છે. તે ગ્રામીણ સંસ્કૃતિ હોવા છતાં દૈમાબાદ અને ઈનામગામમાં શહેરી વસવાટના અવશેષો મળેલ છે.
  • આ સંસ્કૃતિના સ્થળોમાં સૌથી મોટું સ્થળ દૈમાબાદ છે.
  • દૈમાબાદ તાંબાની વસ્તુઓ માટે પ્રસિદ્ધ હતું ઈનામગામ માંથી કિલ્લેબંધી કરેલ એક મોટી વસાહત મળી આવેલ છે.

પ્રમુખ તામ્રપાષણિક સંસ્કૃતિ

સંસ્કૃતિનું નામ સમયગાળો વિસ્તાર
અહાર સંસ્કૃતિ2100 ઈ.પૂ. 1800 ઈ. પૂ.રાજસ્થાન અને ગુજરાત , બનાસ નદીનો વિસ્તાર
કાયથા સંસ્કૃતિ2100 ઈ.પૂ. 1800 ઈ.પૂ.મધ્યપ્રદેશનો દક્ષિણ વિસ્તાર , ચંબલ, નર્મદા, તાપી અને
મહી નદી
માળવા સંસ્કૃતિ1700 ઈ.સ. પૂ. 1200 ઈ.સ. પૂ મધ્યપ્રદેશનો માળવા
વિસ્તાર
રંગપૂર સંસ્કૃતિ1500 ઈ.પૂ. 1200 ઈ.પૂ.ગુજરાત , ઘેલો અને કાળકુભાર નદી
જોરવે સંસ્કૃતિ1400 ઈ.પૂ. 700 ઈ.પૂ.મહારાષ્ટ્ર

ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ ભારતનો પ્રાગ ઐતિહાસિક કાળ


Sharing Is Caring:

Leave a Comment